સ્માર્ટ હોરર કોમેડીની સાથે અનેક રહસ્યો સાથેની ફિલ્મ “કારખાનું”

કારખાનામાં જઇને એક જ રાતમાં મિસ્ત્રી કામને પૂરું કરીને ફ્રી થવાના ઇરાદે ત્રણ કારીગરો રતનકાકા, રમેશ અને મનસુખ કારખાને પહોંચે છે. કારખાનામાં લાઇટ ન હોવાથી ફ્યૂઝ રિપેર કરે છે, લાઇટ આવે છે અને કારખાનામાં પ્રવેશ કરે છે. મનસુખે આ કારખાનું હોન્ટેડ છે એ વિશે ગામ લોકોથી અવનવી વાતો સાંભળી હતી, પરંતુ રતન કાકા અને રમેશ તેની વાતનો ભરોસો કરતા નથી અને ગમે તે થાય પણ એક રાતમાં કામ પૂરું કરવા માટે મનસુખને મનાવી લે છે. કારખાના બહાર પડેલી એક ખુરશી લેવા જ્યારે રમેશ કારખાનાની પાછળના ભાગે પહોંચે છે તો તેને કોઇ ઉંમરલાયક કાકાનું ભૂત ત્યાં હોવાનો આભાસ થાય છે અને ડર સાથે તે રતનકાકા અને મનસુખને વાત કરે છે, છતાંપણ રતનકાકા તેની વાત પર ભરોસો મૂકતા નથી.

આ બધી વાતોને ધ્યાનબહાર કરીને ત્રણે કારીગરો કામ કરવા લાગી જાય છે પણ અચાનક લાઇટ બંધ થઇ જવી, ડરામણા અવાજો આવવા, કોઇના હોવાનો અહેસાસ થવો આ બધું જ ત્રણે કારીગરો ત્યાં મહેસૂસ કરે છે ઉપરાંત કારખાનાનો મેઇન ડોર પણ અચાનક બંધ થઇ જાય છે જે ન ખૂલતા ત્રણે કારીગરોમાં ભાયનક ડર ઘર કરી  બેસે છે. આખરે કામને પડતું મૂકીને કારખાનાના ઉપરના માળેથી થઇને બારી વાટે બહાર નીકળી જવાનો તેઓ પ્લાન કરે છે પણ બહાર નીકળતા નીકળતા તેઓને જાણે સાક્ષાત મૌતનો ભેટો થઇ ગયો હોય તેવી અનેક ઘટનાઓ ઘટે છે. આખરે ત્યાં એક દાદા અને દીકરીની આત્મા ભટકતી હોવાનો તેમને ખયાલ આવે છે. આખરે કેમ તેમની આત્મા કારખાનામાં વર્ષોથી ભટકે છે, શા માટે આ કારીગરોને ત્યાં આત્માઓની ઉપસ્થિતિનો આભાસ થાય છે, એ જાણવા માટે પૂરી ફિલ્મ જોવી જરુરી છે.

ફિ્લ્મ એક સ્માર્ટ હોરર કોમેડી છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એક બાદ એક પાના ખુલતા જાય છે. ફિલ્મમાં સ્માર્ટ હોરર કોમેડીની સાથે અનેક રહસ્યો પણ છે. રતનકાકાનું પાત્ર સૌના ચહિતા ખૂબ જ પીઢ અભિનેતા અર્ચન ત્રિવેદી દ્વારા ભજવવામાં આવ્યું છે. રમેશનું પાત્ર નવોદિત પાર્થ મધુકૃષ્ણાએ ભજવ્યું છે જેમણે ફિલ્મની વાર્તા નિર્માણમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. મનસુખનું પાત્ર ટેલેન્ટેડ હાર્દિક શાસ્ત્રીએ ભજવ્યું છે જેમને સૌ કોઇ તેમના દમદાર અવાજથી જાણે છે. આ ઉપરાંત ફિલ્મમાં નોંધનીય પાત્રોમાં મકરંદ શુકલા (જે પોસ્ટરમાં નથી પણ ફિલ્મમાં છે), કાજલ ઓઝા વૈદ્ય, દધિચી ઠાકર, રાજુ બારોટ, હર્ષદીપસિંહ જાડેજા જેવા નામાંકિત કલાકારોના મજબૂત પર્ફોર્મન્સ જોવા મળે છે.  ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે રુષભ થાનકીએ. ફિલ્મની વાર્તા લખી છે પાર્થ મધુકૃષ્ણા, પૂજન પરીખ અને રુષભ ઠાનકીએ.

ફિલ્મ સિનેમાઘરોમાં 2જી ઓગસ્ટે રિલીઝ થઇ ચૂકી છે. ગુજરાતી સિનેમામાં સૌ પ્રથમવાર જ આ પ્રકારની એક સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ જોવા મળી છે.

સંબોધન મેગેઝીન તરફથી ફિલ્મને 5 માંથી  3.5 સ્ટાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *