અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિ-દિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે. આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450-500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે.
આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્યલુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગોવંશને પુનઃ સંવર્ધિત કરીને સમાજમાં સન્માનનીય સ્થાન અપાવવાનો છે. આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગૌમાતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નંદી મહારાજ દ્વારા જ કરવામાં આવે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય. આ ઉપરાંત, ગૌ-આધારિત ખેતીને વેગ આપીને ગૌપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગોવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે.

ત્રણ દિવસીય આ મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે કાંકરેજ ગો મહાકુંભનો શુભારંભ ગોવંશ અને ગૌપાલકોના ભવ્ય સામૈયા સાથે થશે, ત્યારબાદ સુરભિ યજ્ઞ, ગોવંશ સ્પર્ધા અને ગો વિજ્ઞાન ગોષ્ઠિના સત્રો યોજાશે. મનોરંજન માટે પ્રથમ રાત્રિએ ‘ગોદાન મૂવી’ બતાવવામાં આવશે, જ્યારે બીજા દિવસે ગોવંશ સ્પર્ધાના બીજા તબક્કા સાથે રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ જામશે. છેલ્લે ૨૨ એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામ વિતરણ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાલાભાઈ રણછોડભાઈ રબારી (મુખ્ય આયોજક – કઠવાડા/નરોડા), જયરામભાઈ સેંધાભાઇ રબારી (થલતેજ), દશરથભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (પોર), વિનુભાઈ ભગવાનભાઈ દેસાઈ (મોકાપુરા), સંદીપભાઈ બળદેવભાઈ દેસાઈ (શેડયા), ભરતભાઈ સાંકાભાઈ દેસાઈ (કુહા), ટીનાભાઈ બળદેવભાઈ દેસાઈ (એદરાડ), ગોવિંદભાઈ કનુભાઈ દેસાઈ (દેહગામ), હિરેનભાઈ સુખદેવભાઈ દેસાઈ (નાની કડી), વિહાભાઈ ખોડાભાઈ દેસાઈ (છારોડી), દિનેશભાઈ હરેશભાઈ દેસાઈ (અડીસણાનાપરા), જયેશભાઈ ભીખાભાઈ દેસાઈ (ચરીયાળા), વિષ્ણુભાઈ ભલાભાઈ દેસાઈ (વહેલાલ), લાલાભાઈ હીરાભાઈ દેસાઈ (કઠવાડા) સહિતના અનેક ગૌભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.
You may also like
-
અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ: GCS હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને PET સ્કેન સેન્ટરનો પ્રારંભ
-
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
-
‘કુકા’: મનોરંજન અને ગ્લેમરનો એક ફ્રેશ ગુજરાતી ડોઝ
-
અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું
-
‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026’ (GMA) માં સનહાર્ટ સિરામિકના ગોવિંદ વરમોરાનું સન્માન કરાયું
