પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રાજ્યભરમાં રક્તની ભારે અછત ઊભી થઈ છે, ત્યારે કેન્સરના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આગામી તા. ૧૭ જુલાઈ, શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી અતુલ ઓટો લિમિટેડ, મોગલ માતાજીના મંદિરની સામે, અમદાવાદ-રાજકોટ હાઇવે, ગામ ભાયલા, તા. બાવળા, જી. અમદાવાદ ખાતે આ કેમ્પ યોજાશે.
આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) માં સારવાર લઈ રહેલા દર્દીઓને મદદરૂપ થવાનો છે. ઉલ્લેખનીય છે કે, GCRI માં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પાડોશી રાજ્યોમાંથી પણ કેન્સરના દર્દીઓ નિઃશુલ્ક સારવાર અર્થે આવે છે. હાલમાં રાજ્યની બ્લડ બેન્કોમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરિયાત છે, જેને પહોંચી વળવા અતુલ ઓટો પરિવાર દ્વારા આયોજિત આ સેવાકાર્ય એક મહત્વનું કદમ બની રહેશે.
રક્તદાનનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણી જણાવે છે કે, રક્ત આપણા શરીરમાં શુદ્ધ ઑક્સિજન પહોંચાડવાની સાથે ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. માનવ શરીરમાં રક્તનો પ્રવાહી ભાગ ‘પ્લાઝમા’ કહેવાય છે, જેમાં ૯૨% પાણી અને બાકીના ભાગમાં પ્રોટીન, સુગર અને વિટામિન્સ જેવા પોષક તત્વો હોય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિના શરીરમાં ૫૦૦૦ થી ૬૦૦૦ ml રક્ત હોય છે, જેમાંથી માત્ર ૩૫૦ થી ૪૫૦ ml રક્તનું જ દાન કરવાનું હોય છે. એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન ત્રણ વ્યક્તિઓને નવું જીવનદાન આપી શકે છે. દાન કરેલા રક્તનો જથ્થો શરીરમાં માત્ર બે જ દિવસમાં અને તેના તમામ ઘટકો માત્ર ૨૦ દિવસમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. તેથી, દરેક સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવું જ જોઈએ.
અમૂલ્ય માનવ જિંદગીઓને બચાવવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અતુલ ઓટો લીમીટેડ પરિવાર અને શ્રી વિનય જસાણી દ્વારા લોકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ અંગેની વિશેષ માહિતી કે માર્ગદર્શન માટે મો. ૯૯૦૪૩૦૦૨૨૮ અથવા મો. ૮૦૮૧૪૯૯૯૬૮ પર સંપર્ક કરી શકાશે.
વધુમાં, સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પારિવારિક પ્રસંગો, જન્મદિવસ કે કોઈ સ્વજનના સ્મૃતિદિન નિમિત્તે આવા રક્તદાન કેમ્પ યોજીને રક્તની અછતને દૂર કરવામાં પોતાનો ફાળો આપે. રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન કે અન્ય કોઈપણ જીવદયાના સેવાકીય કાર્યો અંગેના આયોજન માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણીનો મો. ૯૪૨૮૨૦૦૬૬૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
You may also like
-
અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું
-
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીએસએફ જવાનો સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન
-
‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ
-
શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો
-
જેતલપુર નજીક નાઝ ગામમાં ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું
