અમદાવાદમાં અંતિમધામ આશ્રમ પરિવાર દ્વારા ‘શિવ શક્તિઔર શ્યામ – એક શામ આપકે નામ’ ભક્તિમય કાર્યક્રમનું વિશેષ આયોજન

અમદાવાદ: અંતિમધામ આશ્રમ પરિવાર (અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, ચાંણોદ) દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવાર, ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ (વિક્રમ સંવત ૨૦૮૨, શ્રાવણ વદ નોમ) ના રોજ અમદાવાદ સ્થિત દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે એક વિશેષ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ ‘શિવ શક્તિ ઔર શ્યામ – એક શામ આપકે નામ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ ભક્તોમાં આધ્યાત્મિક ચેતના અને આત્મિક શાંતિનો સંચાર કરવાનો છે.

આ પ્રસંગે પોતાના આશીર્વચન આપતાં પરમ પૂજ્ય શ્રી વિરલબાપુએ જણાવ્યું હતું કે, “શિવ એ સાધના છે, શક્તિ એ સામર્થ્ય છે અને શ્યામ એ પ્રેમનું સર્વોચ્ચ સ્વરૂપ છે. જ્યારે ભક્તિમાં શિવ, શક્તિ અને શ્યામનો ત્રિવેણી સંગમ થાય છે, ત્યારે મનુષ્યનું જીવન સન્માર્ગ અને પરમ શાંતિ તરફ અગ્રેસર થાય છે.” પૂજ્ય બાપુની આ અમૃતમય જ્ઞાન વાણી શ્રદ્ધાળુઓ માટે ભક્તિના માર્ગે આગળ વધવાની પ્રેરણા બનશે.

કાર્યક્રમની રૂપરેખા મુજબ સાંજથી જ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો પ્રારંભ થશે. સૌપ્રથમ સાંજે ૦૬:૩૦ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ૦૭:૩૦ કલાકે શિવ રૂદ્રી પાઠ અને રાત્રે ૦૮:૩૦ કલાકે શ્યામ આરાધનાનો મનોહર કાર્યક્રમ યોજાશે, જેમાં ભક્તો ભક્તિરસમાં લીન થઈ શકશે.

આયોજક પરિવાર દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *